કોરોનાની થપાટે દુનિયાને સખતપણે ઓનલાઇન લાવી દીધી છે. વર્ક-કલ્ચરની સાથે એજ્યુકેશન પણ આજકાલ ઓનલાઇન થવા લાગ્યું છે. ત્યારે આનાં વિપરીત પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.
થોડાં સમય પહેલાં, યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન(UCL)નાં એક રિપોર્ટ પ્રમાણે જે બાળકોનાં બેડરૂમમાં ટી.વી. હોય છે, તેવા બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ સામાન્ય બાળકો કરતાં 30% વધારે હોય છે. આ રિસર્ચમાં 12,556 બાળકોને આવરી લેવાયા હતાં. આવાં બાળકોનું વજન ઝડપથી વધે છે, જે લાંબાગાળે નુકસાનકારક બની શકે છે.
WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)નાં જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકામાં મેદસ્વીતામાં લગભગ 35% જેટલો વધારો થયો છે, જેમાં અમેરિકા અને યુરોપીયન દેશો આ યાદીમાં સામેલ છે. ભારતમાં લગભગ 15 મિલિયન લોકો મેદસ્વીતાનો શિકાર છે, જેમાં મોટાભાગના લોકો 19 થી 40 વર્ષ સુધીનાં છે.
જોકે બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ તેમને લાંબાગાળે હાનિકારક બની શકે છે. તેઓ હાઇ-બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનાં શિકાર બની શકે છે.
બાળકોમાં મેદસ્વીતા વધવા માટે આ કારણો જવાબદાર બને છે-
- સતત બેઠાડું જીવન
- જંકફુડનો વધુ-પડતો પ્રયોગ
- મેદાની રમતો ન રમવી
જોકે આજનાં સમયમાં ટી.વી., મોબાઇલ અને અન્ય ગેજેટ્સ પણ બાળકોની મેદસ્વીતા માટે કારણભૂત છે. તેથી બાળકોને આ ગેજેટ્સથી દૂર રાખવાં, જેથી તેમનું સ્વાસ્થ્ય જળવાય. જરૂરિયાતનાં સમયે તેમને ગેજેટ્સ વાપરવા દેવા, પરંતુ ત્યારબાદનાં સમયમાં તેમને ઇન્ડોર એક્ટિવિટીઝ અથવા તો અન્ય રમતોમાં દોરવા, જેથી તેમની આંખોને પણ રાહત મળે.